આમુખ
શ્રેયસ પ્રચારક સભાની સ્થાપના ૨૩-૧૨-૧૯૮૦ ના દિને જનસમૂહના પારમાર્થિક ઉત્કર્ષમાં કોઈ પ્રકારે ઉપયોગી અને સહાયભૂત થવાના હેતુથી કરવામાં આવેલ.
એકવીસમી સદીનાં ગ્લોબલ સંસ્કૃતિનાં આક્રમણવાળાં, પશ્ચિમનાં પવનનાં પ્રદુષણવાળા વર્તમાન જીવનમાં રાગદ્વેષ અને વેરની ભાવનાથી ભરેલા વાતાવરણમાં ફસાયેલી આ માનવજાતને જરૂર છે “આત્મા” ને જાણવાની, ઓળખવાની, સમજવાની અને માણવાની. આ માટે શ્રી તીર્થંકર પ્રભુએ મહામૂલો ઉપદેશ આપ્યો છે જેને શ્રી ગણધરપ્રભુનાં માર્ગદર્શન નીચે શ્રી આચાર્ય ભગવંતોએ ગ્રંથસ્થ કરી આગમસૂત્ર રૂપે રચના કરેલ. અનેકાનેક સાધુભગવંતોએ આ જ્ઞાનશ્રુતરૂપી મોતીનો પરિચય આપણને કરાવીને તત્વનાં ઊંડાણને પામવાનો માર્ગ બતાવેલ છે જેને જ્ઞાન, દર્શન તથા ચારિત્રના સમ્યફ આરાધનનો મોક્ષમાર્ગ શ્રી પ્રભુએ કહ્યો છે. પારિભાષિક શબ્દોનાં ગહનપણાને કારણે સામાન્ય જીવોને એનું આરાધન કઠણ લાગે છે ત્યારે શ્રી પ્રભુએ તો આ માર્ગને સરળ, સ્વચ્છ અને સુગમ જણાવી તેનું બહુમાન કર્યું છે. જેને પ્રાપ્તિની અદમ્ય ઈચ્છા જાગે છે તેને તે માર્ગ અવશ્ય મળે જ છે.
શ્રી પ્રભુની શાંત મુદ્રાસહીતની પ્રતિમા કે ચિત્રપટ જોઇને આપણાં અંતરમાં ઘણીવાર ભાવ ઉઠે છે કે “હે પ્રભુ! તારા જેવા અમે ક્યારે થશું? અમને આ સંસારમાંથી મુક્તિ ક્યારે મળશે? અમારી આ ઝંખના ક્યારે સફળ થશે? વગેરે” આપણા આ પ્રશ્નોના ઉત્તર, થતી મુંઝવણ માટેનું માર્ગદર્શન આપણને મળી રહે છે પૂ. સરયુબેન રચિત “શ્રી કેવળી પ્રભુનો સાથ” નાં પાંચ ગ્રંથોનાં વીસ પ્રકરણોમાંથી. આનું પઠન કરતાં તેમાં તેઓ પોતાના આત્માનુભવની અનુભૂતિ ગ્રંથસ્થ કરતા હોય એવી લાગણી થાય છે અને આ સંસારનાં દુખોમાંથી છૂટવાના પ્રબળભાવ થાય છે.
આ પાંચેય ગ્રંથોના પ્રત્યેક પ્રકરણની તર્કબદ્ધતા સમજવા જેવી છે જેમાં તેઓ વ્યક્ત કરે છે “આત્માનુભૂતિનો આનંદ”. આત્મવિકાસનાં સોપાન તથા મોક્ષમાર્ગની યાત્રામાં જોડાવા આપણે કેવી પાત્રતા કેળવવી જોઈએ તેનું સચોટ માર્ગદર્શન તેઓએ છેલ્લે “ઉપસંહાર” માં ખૂબજ સુંદર રીતે ભવ્ય જીવોને અત્યંત ઉપકારભૂત બની રહે એ ભાવનાથી રજુ કરેલ છે.
વાચકોને આ બધા ગ્રંથો અને અન્ય પુસ્તકોનો લાભ આ વેબસાઈટની સુવિધાદ્વારા સદુપયોગ માટે પ્રાપ્ત થાય એજ ભાવના.